Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Friday, January 18, 2013

અર્જુનની જિજ્ઞાસા


અર્જુનની જિજ્ઞાસા


સાતમા અધ્યાયને અંતે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે મને અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ સાથે જાણી લે છે, તે મારામાં મનને જોડીને જ્યારે શરીર છોડવાનો વખત આવે છે, ત્યારે મને જાણી ને પામી લે છે. એમાં બિલકુલ સંદેહ નથી. ભગવાને આ બધું કહેવા માટે એક શ્લોકનો જ ઉપયોગ કર્યો છે. પણ તે શ્લોકમાં એક બીજા નવા અધ્યાયનું બીજ રહેલું છે. ભગવાનની કળા જ એવી છે. તે કળાને શબ્દોના સુંદર રૂપમાં રજૂ કરનાર મહર્ષિ વ્યાસની કળા પણ એટલી જ અજબ છે. તેનો પરિચય આપણને ગીતામાં અનેક જગ્યાએ થઈ રહે છે. અહીં પણ આપણને એ જ કળાનું દર્શન થાય છે. સાતમો અધ્યાય પૂરો થાય છે ત્યારે જે શ્લોક આવે છે તે અર્જુનને એકવાર ફરી વિચાર કરતો કરી મૂકે છે. કેમ કે તે શ્લોકમાં જે શબ્દો વપરાયા છે તે અર્જુનથી તદ્દન અજાણ્યા છે. તે શબ્દોનો અર્થ સમજવાનું અર્જુન માટે મુશ્કેલ થઈ પડે છે. એ મુશ્કેલીની ઝાંખી આઠમા અધ્યાયની શરૂઆતમાં સહેલાઈથી થઈ શકે છે.


પોતાની મુશ્કેલી દૂર કરવાની પ્રાર્થના કરતા અર્જુન પૂછે છે કે, હે પ્રભો, (૧) બ્રહ્મ શું છે ? (૨) અધ્યાત્મ શું છે ? (૩) કર્મ શું છે ? (૪) અધિભૂત કોને કહેવાય ? (૫) અધિદૈવ ને અધિયજ્ઞ પણ કોને કહેવાય ? ને (૬) પોતાની જાતનો સંયમ કરનારા માણસો શરીરને છોડતી વખતે તમને કેવી રીતે જાણે છે ? હે મધુસુદન, જેમ તમે અધર્મી ને અત્યાચારી માણસોનો નાશ કરવામાં કુશળ છો, તેમ ભક્તોના અજ્ઞાનનો નાશ કરવામાં પણ કુશળ છો. ભક્તોની વિપત્તિ ને મૂંઝવણને દૂર કરવાની કળા તમે સારી રીતે જાણો છો. ભક્તોને શાંતિ આપવી ને બધી જાતની શંકાથી મુક્ત કરવા એ તો તમારો સ્વભાવ છે, ને તમારો પ્રિય વ્યવસાય છે. માટે મારી મુશ્કેલી દૂર કરો ને મને ખુલાસો કરીને શાંતિ આપો. જોયું ? ગીતાનો વિચાર બરાબર સાવધાન રહીને કરો છો ને ? સાવધાન હશો તો તરત સમજી શકશો કે કુરૂક્ષેત્રના મેદાનમાં લડવા આવેલો અર્જુન જીવનના રહસ્યમય જંગને જીતવાની કળા શીખતો જાય છે, ને ભગવાનનો નમ્ર શિષ્ય થઈને જ્ઞાનવિજ્ઞાન ને ભક્તોની કોલેજમાં નવા નવા પાઠ લેતો જાય છે. તેના પાઠ માનવ જાતિને માટે કેટલા ઉપયોગી છે તે આપણે જાણીએ છીએ.


અર્જુનના પ્રશ્નોના ટૂંકા ઉત્તરમાં ભગવાન કહે છે કે (૧) જે પરમ અવિનાશી પરમાત્મા છે તે બ્રહ્મ કહેવાય છે. (૨) તેમનો જે સહજ સ્વભાવ તે અધ્યાત્મ કહેવાય છે. (૩) જે વિનાશી વસ્તુ છે તે અધિભૂત કહેવાય છે. (૪) અવિનાશી આત્મા અધિદૈવ છે. તે જુદા જુદા શરીરધારીઓનાં શરીરમાં હું અધિયજ્ઞ થઈને રહેલો છું. તે પછી, શું કરવાથી માણસને મૃત્યુ પછી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય તે વિશે થોડો પ્રકાશ ફેંકે છે.


- શ્રી યોગેશ્વરજી




અંતઃકાળની વાત


અંતઃકાળે માણસની દશા કેટલીકવાર ખૂબ કફોડી થઈ જાય છે. તે વખતે સગાંસંબંધી ને સ્નેહીજનો તેની આજુબાજુ વીંટળાઈ વળે છે. મરણના પડછાયા તેની આસપાસ ફરવા માંડે છે. મરણના વિચારથી તેને કંપારી છૂટે છે. જે દુનિયામાં તે આજ સુધી રહ્યો, ને અનેક જાતના ભોગો ભોગવ્યા, તે દુનિયા તેની નજર સામે તરવરે છે. તેને છોડીને જવાનો વખત આવ્યો એ વિચારથી તે થથરે છે. દુનિયામાંથી વિદાય લેવાનો વિચાર તેને ગમતો જ નથી. બહુ ઓછા માણસો એવા હોય છે જે શરીરને છોડવાનો વખત આવે ત્યારે તેને આનંદથી છોડે છે. બીજા માણસો તો મરણના વિચારથી જ મરણતોલ જેવા બની જાય છે. તેમના સાંધા ઢીલા પડી જાય છે. તેમને ભગવાનની યાદ આવે એ શું સહેલી વાત છે કે ? ભગવાનનું નામ લેતાં લેતાં શરીર છોડવાનું કામ તેમને માટે સહેલું છે કે ? અંતકાળે જો જીભ પર ભગવાનનું નામ આવી જાય ને હૃદયમાં ભગવાનનું ધ્યાન જામી જાય, તો માણસને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ગીતામાતાએ આ સહેલો ને સચોટ ઉપાય બતાવ્યો છે પણ માણસોથી તો તેવો સહેલો ઉપાય પણ અજમાવી શકાતો નથી. સંસારના રંગરાગ ને વિષયોમાં તે એટલા બધા ડૂબેલા છે કે મરણ વખતે પણ તેમની નજર સામે સંસારના વિષયો જ ઊભા રહે છે, ને તેમના મનને તેની અંદર લપટાવે છે. વિષયો વિના તેમને બીજું કાંઈ ગમતું જ નથી. વિષયોની જાળમાં અંતકાળે પણ જકડાઈ ના જવાય, ને ભગવાનમાં મનની વૃત્તિ જોડીને કૃતાર્થ થવાય, તે માટે સમજુ માણસો સદા સાવધ રહે છે, ને પ્રાર્થના તથા પ્રયાસ કરે છે. અંતરના ઊઁડાણમાંથી તે પોકાર કરે છે, ને ભગવાનની પાસે ભીખ માગે છે કે હે પ્રભુ ! અંતકાળે જ્યારે શરીર છોડવાનો વખત આવે, ત્યારે તમારૂં મધુર નામ લેતાં લેતાં શરીર છૂટે એવી કૃપા કરજો. ભક્તોના દિલના આવા આવા ભાવોને રજૂ કરનારું પેલું સુંદર ગીત પણ સારી પેઠે જાણીતું છે. તેમાં કહેવામાં આવ્યું છે, અથવા કહો કે ભગવાનને અરજ કરવામાં આવી છે કે,


ઈતના તો કરના સ્વામી, જબ પ્રાણ તનસે નિકલે,

ગોવિંદ નામ લેકર યહ પ્રાણ તનસે નિકલે.


અંતકાળે કોઈ સારા સ્થાનમાં રહેવાની ઈચ્છા પણ માણસને થાય છે. સારા સ્થાનમાં રહેવાથી ને શરીર છોડવાથી ઉત્તમ ગતિ મળી જાય છે એમ માનીને કેટલાક માણસો કાશી, પ્રયાગ, વૃંદાવન તથા હરિદ્વાર  જેવાં તીર્થ સ્થાનોમાં જાય છે, ને વસવાટ કરે છે. ભક્તે તે ભાવનાને પણ રજૂ કરી છે ને કહ્યું છે કે,


શ્રી વૃંદાવનકા સ્થલ હો ઔર જમનાજી કા તટ હો,

ઔર સાંવરા નિકટ હો, જબ પ્રાણ તનસે નિકલે.


પણ અંતકાળે ભગવાનમાં મન રહેવાનું કામ શું એટલું બધું સહેલું છે કે ? ગાવામાં ને ગાયેલું જીવવામાં કે અનુભવવામાં ઘણો ફેર છે. શાંતિ, સફળતા કે સિદ્ધિ કેવળ ગાવાથી નથી મળતી, પણ અનુભવવાથી મળે છે. આપણે કહીએ છીએ કે અન્ન તેવો ઓડકાર, તે કાંઈ ખોટું નથી. જેવું બીજ વાવશું તેવું લણી શકીશું. કોદરાને વાવીને કોઈ ઘઉંની આશા રાખે તો તેને શું ઘઉં મળી શકે ? તે પ્રમાણે મકાઈ વાવીને બાજરીની ઈચ્છા પણ ના રખાય. જીવનના સિદ્ધાંત ને માણસના પોતાના સ્વભાવનું પણ એવું છે. આખા જીવન દરમ્યાન જે વિચારો, ભાવો ને ભાષાનું રટણ કર્યું હોય તે જ ભાવ, વિચાર ને ભાષા અંતકાળે પણ હાજર થઈ જાય છે. જે માણસ આખાયે જીવન દરમ્યાન સંસારના વિષયોના રસમાં ફસાયલો રહે, તે જીવનની અંતકાળે એકદમ ભગવાનને યાદ કરી લેશે એમ માનવું ભૂલભરેલું છે. છતાં કેટલાક માણસો એ વાતને સમજતા નથી. તે કહે છે કે જીવનભર ધર્મનું આચરણ કરવાની ને પ્રભુનું નામ લેવાની શી જરૂર છે ? ગીતાએ તો સહેલો ઉપાય બતાવ્યો છે. તે પ્રમાણે આપણે હમણાં ભલેને લ્હેર કરીએ ને સંસારનો લ્હાવો લઈએ. અંતકાળ આવવા માંડશે એટલે સીધા વૈકુંઠમાં પહોંચી જઈશું. અંતકાળે ભગવાનના નામને જપવા માંડીશું એટલે ભગવાનના દરબારની ટિકિટ મળી જશે. મુક્તિ કે પરમપદનો પાસપોર્ટ તૈયાર થઈ જશે. કેટલાક વધારે ડાહ્યા મનાતા માણસો ડહાપણનો નમૂનો બતાવતા કહે છે કે અંતકાળે ભગવાનનું નામ લેવાનું ને ભગવાનમાં મન જોડવાનું કામ તો ઘણું જ સહેલું છે. અમે નામ નહિ લઈએ તો પણ વાંધો નથી. મરણ–પથારી પર પડ્યા હોઈશુ ત્યારે બીજા માણસો તો પ્રભુનું નામ લેશે ? તે સાંભળીને અમે પણ પ્રભુનું નામ લેવા માંડીશું એટલે ગીતાની શરત પૂરી થશે, ને અમારી સીધી સદ્ ગતિ થઈ જશે.


આ માણસો ગીતાના સગવડીયા ભાગનો જ વિચાર કરે છે. તેમને ખબર નથી કે મરણ વખતે પ્રભુનું નામ લેવાનું કામ એટલું સહેલું નથી. બીજા માણસો પ્રભુના નામનું કીર્તન કરે છે ને પાસે બેસીને સારી કથા કરે છે, છતાં મરણ પથારી પર પડેલો માણસ પોતાના જ વિચારમાં મસ્ત રહે છે. કથા ને કીર્તનની તેના પર કાંઈ જ અસર થતી નથી. જે માણસે જીવનભર પ્રભુનું નામ લીધું હોય, તે જ માણસને છેવટની ઘડીએ પ્રભુની યાદ આવી શકે છે. માટે તો ગીતામાતા કહે છે કે જીવનમાં જે ભાવો ને વિચારોનું રટણ કર્યું હોય તે જ ભાવો ને વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે છે. માટે જીવનની પ્રત્યેક પળે પ્રભુનામ લેવાની ટેવ પાડવી જોઈએ. પ્રભુની યાદ ચાલુ રાખવા ને પ્રભુમાં પ્રેમ કરવા તૈયાર રહેવું જોઈએ. પ્રભુની યાદ કાંઈ યાંત્રિક રીતે લેવાની નથી. 'મુખમેં રામ ને બગલમેં છૂરી'ની નીતિ કાયમ રાખીને પ્રભુનું નામ લેવાનું નથી. બહારથી ભગતનો ડોળ કરીને અંદરખાનેથી સંસારના વિષયોને પ્રાણપ્યારા માની તેમનું સેવન કરવાનું નથી. એવી નીતિ ને એવું સેવન સદાયે પ્રાણઘાતક નીવડશે, તેનું આખરી પરીણામ ઘણું ખરાબ આવશે. બહારથી ટીલાંટપકાં, માળા, સેવાપૂજા ને કીર્તન જેવો ભક્તિનો સ્વાંગ સજ્યો હોવા છતાં મન જો વિષયોની જ રમત રમતું હશે તો અંતકાળે વિષયો આંખ આગળ ઊભા રહશે, ને ભક્તિનો અભિનય નકામો થઈ પડશે કે પોકળ સાબિત થશે. એટલે ભક્તિનો ખોટો અભિનય પણ છોડી દેવો જોઈએ ને મન પ્રભુમાં લગાડવું જોઈએ. તો જ જીવન સફળ થાય. જીવનભરના પુરૂષાર્થ ને સાચા પુરૂષાર્થ વિના આ કેવી રીતે બની શકે ?


- શ્રી યોગેશ્વરજી




અંતઃકાળ પર આધાર રાખવાનું છોડી દો


રોજ પ્રભુસ્મરણ કરો. રોજના કર્મો વિચાર કરીને ને પવિત્ર રીતે કરો. રોજના જીવનને ચોખ્ખું કરો; ચોખ્ખું રાખો ને અંતકાળ પર આધાર રાખવાનું છોડી દો. જીવનમાં વહેલામાં વહેલી તકે સદ્ ગતિ મેળવી લો. મરણ પછી સદ્ ગતિ મેળવવાની આશા રાખીને બેસી રહેવું નકામું છે. જે મેળવવું હોય તે મરણ પહેલાં જ મેળવી લો. પ્રત્યેક પળને કિંમતી સમજો ને પ્રત્યેક પળે પ્રભુની કૃપા મેળવવા તૈયાર થાવ.


મરણ સૌને માથે ભમ્યા કરે છે. આ સંસારમાં કોઈ અમર નથી, છતાં માણસ એ વાતને ભૂલી જાય છે ને સંસારમાં લપટાય છે એ મોટું આશ્ચર્ય છે. એક દિવસ આ ભાડૂતી ઘરને ખાલી કરીને વિદાય થવાનું છે, એ વાત યાદ રાખીને માણસે વહેલામાં વહેલી તકે પોતાના હિતનું કામ કરી લેવા તૈયાર થવું જોઈએ. મૃત્યુનો કાંઈ ભરોસો થોડો જ છે ? માણસો હાલતાં ચાલતાં ને વાતચીત કરતાં પણ શાંત થઈ જાય છે. આજે જે તદ્દન સાજા દેખાતા હોય તે કાલે સમાપ્ત થઈ જાય છે. સાધારણ માણસો તો શું પણ મોટા મોટા વિદ્વાનો ને સંતોને માટે પણ આ સાચું છે.


એક સંતપુરૂષે જીવનનો પાછલો સમય શાંતિથી પસાર કરવા માટે એક તીર્થસ્થાનમાં વાસ કર્યો. વીસેક વરસ થઈ ગયાં પણ જીવન તો લંબાતું જ ચાલ્યું. એકવાર કોઈ સત્સંગી પુરૂષે તેમને પોતાને ત્યાં બોલાવ્યા. તેમનું આમંત્રણ સ્વીકારીને તેમણે તીર્થસ્થાન છોડ્યું. પોતાના ભક્તો પાસેથી થોડી આર્થિક મદદ મેળવીને એક આશ્રમ બનાવવાની તેમની ઈચ્છા હતી. પણ ઈશ્વરની ઈચ્છા જુદી જ હતી. તે સંતપુરૂષ પોતાના સત્સંગી ભક્તને ત્યાં પહોંચ્યા તે જ દિવસે માંદા પડ્યા, ને ત્રણેક દિવસમાં તેમનું શરીર શાંત થઈ ગયું. મરણ કેટલું અનિશ્ચિત છે તેની ખાત્રી માટે તેમના ભક્તોને આ પ્રસંગ પૂરતો થઈ પડ્યો. જો કે મરણનો વખત તો નક્કી જ છે પણ તેનું જ્ઞાન નહિ હોવાથી તે એકાએક આવી પડતું હોય એવું લાગે છે. પણ મરણને નક્કી માનીને માણસે જાગવાની જરૂર છે. જીવનને પ્રભુમય કરી દેવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. તે માટે બાળપણથી જ સારા સંસ્કાર ને સારી ટેવો પાડવાનો પ્રયાસ કરવો જોઈએ.


બાળક ખાવાપીવાની, રમવાની ને કોઈવાર લગ્ન કરવાની રૂચિ બતાવે, તો કોઈને નવાઈ લાગતી નથી. માબાપ તે રૂચિને પૂરી કરવા તૈયાર થાય છે. પણ સંતસમાગમની, ઈશ્વરને મેળવવાની, જીવનભર કુંવારા રહીને બીજાની ભલાઈનાં કામ કરવાની ને યોગ જેવી કોઈ સાધના કરવાની ઈચ્છા બતાવે, તો તેમને નવાઈ લાગે છે. મોટા મોટા માણસોને પણ નવાઈ લાગે છે ને કેટલીકવાર તે ઈચ્છાને દાબી દેવા માટે પ્રયાસ પણ કરવામાં આવે છે. પોતાનાં બાળકો બીજાની જેમ કોઈની મશ્કરી કરે, કોઈને ડરાવે, ધમકાવે, દબાવે, ને ગમે તેમ કરીને ધન મેળવવાની કળામાં પાવરધા બને, તે પછી એકાદ સ્ત્રી ને થોડાંક સંતાનોનો કાફલો લઈને સંસારની યાત્રા કરે, એવી ઈચ્છાવાળા માબાપ વધારે હોય છે. પણ બાળકો સંસારથી ઉપરામ થઈને પ્રભુપરાયણ થવાની તાલીમ લેવાની વાતો કરે, એ તેમને ભાગ્યે જ પસંદ પડે છે.


બાળક જો કોઈ સંતનું જીવન વાંચે કે ગીતા, ભાગવત કે રામાયણ જેવો ગ્રંથ લઈને બેસે, તો માબાપ કે વડીલો મોં મચકોડશે, ને તરત બોલી ઊઠશે કે આ શું ? અત્યારથી ગીતા-ભાગવત ? અરે, ભાઈ ગીતા-ભાગવત તો હજી અમે પણ નથી વાંચતા ! એ તો બધું નવરા ને સંસાર છોડીને એકલા ફરનારા માણસોને માટે છે. આપણે વળી ગીતા-ભાગવત શું ? કોઈ સંતપુરૂષના દર્શને જવાની રૂચિ બતાવે તો પણ બાળકને એવો જ ઉત્તર આપવામાં આવે છે. તેમાં વળી કોઈ સંતપુરૂષના સમાગમમાં તે વારંવાર આવવા માંડે તો તો જાણે આભ તૂટી  પડવાનું હોય તેમ માબાપ ને વડીલવર્ગ ચિંતાતુર થઈ જાય છે. બાળક માળા લઈને બેસે તે પણ તેમને ગમતું નથી. ભજન ગાય તે પણ તેમને ભાગ્યે જ પસંદ પડે છે, ને જો તે કુંવારા રહેવાની વાત કરે તો તો પૂછવું જ શું ? બ્રહ્માની જવાબદારી જાણે પોતે જ ઉપાડતા હોય તેમ તે ભારેખમ બની જાય છે, ને પોતાનો ને સંસારનો વંશ નહિ રહે તો શું થશે એની મૂંઝવણમાં પડી જાય છે.


નાના હતા ત્યારે અમે પણ કોઈની પાસે સાંભળેલું કે રામ રામ બોલીએ એટલે ભૂત ને ભય બંને ભાગે છે. આ ઈલાજ અમારે માટે અકસીર થઈ પડ્યો. પહેલાં રાતે બહાર પેશાબ કરવા જતાં જરા બીક લાગતી. પણ આ ઈલાજ જાણ્યા પછી રામરામ કરતાં બહાર નીકળવા માંડ્યું, ને માનવા માંડ્યુ કે રામ દેખાતા નથી પણ સૌની રક્ષા કરવા તૈયાર છે. એથી ભય ભાગી ગયો. બાળપણના સંસ્કાર મોટી ઉંમરમાં ઘણા મજબૂત થઈ જાય છે. એ વાતની ખાત્રી કરવા નામદેવનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. ભગવાન વિઠ્ઠલને દૂધ પાવાનો નામદેવે આગ્રહ કર્યો, કેમ કે ભગવાન દૂધ પીએ છે તે વાત તેમના મગજમાં ઠસી ગઈ હતી. પાછળથી તે એક મહાન ભક્ત થઈ ગયા.


એટલે પ્રભુના સ્મરણની ટેવ પણ બાળપણથી જ પાડવી જોઈએ. ઘડપણમાં ગોવિંદના ગુણ ગાવાની વૃત્તિ છોડી દેવી જોઈએ. પ્રભુસ્મરણ તો સમસ્ત જીવનને માટે જરૂરી છે. તે કાંઈ ઘડપણનો જ ઈજારો નથી. ઘડપણમાં તો સરકારી નોકરીમાંથી પણ માણસોને છૂટા કરવામાં આવે છે, કેમકે તેમની શક્તિઓ ઘસાઈ જાય છે. તો પછી ઈશ્વરની સેવા ને તપશ્ચર્યા તો તેથી પણ વધારે શક્તિ માગી લે છે. ઘડપણમાં જ્યારે બધી શક્તિ સૂકાઈ જશે, ત્યારે સેવા, તપ કે સાધના કેવી રીતે થઈ શકશે, ને ઘડપણ આવશે એ ક્યાં નક્કી છે ? આ ચંચલ ને ક્ષણે ક્ષણે પલટાતા સંસારમાં કોણ માણસ અમર છે, ને કાલની કોને ખબર છે ? આ સંસારમાં માણસ ઘડપણ સુધી જીવશે જ એની જરા પણ ખાત્રી ક્યાં છે ? ને ખાત્રી હોય તો પણ પ્રભુપ્રાપ્તિ જેવા મહત્વના કામને માટે પ્રમાદ સેવીને ઘડપણ પર આધાર રાખીને બેસી રહેવાનું શું બરાબર છે ? પોતાની જાતના ઉદ્ધારનું કલ્યાણકારક કામ તો માણસે વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ. તેમાં ઢીલ કરવી ઠીક નથી. જીવનની દરેક ક્ષણે પ્રભુનું અનુસંધાન સાધી ને પ્રભુની પરમ કૃપા મેળવવા સમજુ માણસે તૈયાર થવું જોઈએ. ને આ જ જીવનમાં વહેલામાં વહેલી તકે ઉત્તમમાં ઉત્તમ ગતિ કે પદ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. રોજના જીવનમાં શુદ્ધ રહેવાની ને પ્રભુસ્મરણ કરવાની ટેવવાળો માણસ અંતકાળે પ્રભુની સહેલાઈથી યાદ કરી શકશે, ને પ્રભુને મેળવી પણ લેશે. માટે જ ભગવાન કહે છે કે હે અર્જુન, જીવનની હરેક ક્ષણે તું મારૂં સ્મરણ કર ને જીવનનું આવી પડેલું યુદ્ધ કર. અર્જુનને અપાયેલા એ સંદેશામાં દરેકનો સંદેશો સમાયેલો છે. જીવનના જંગમાં ઉતરેલા માણસે વીરતાપૂર્વક લડવાનું છે, ને રાક્ષસી વૃત્તિ તથા વાસનાઓને મારવાની છે.


- શ્રી યોગેશ્વરજી




શરીર છોડવાની વિધિ


આ તો સાધારણ માણસોની વાત થઈ જે વ્યવહારમાં રહે છે, ને સંસારના જંગમાં ઉતરેલા છે. તેમને માટે સૂચના થઈ. પણ ત્યાગી ને એકાંતવાસી માણસોને માટે પણ આ સૂચના કામની છે. તેવા માણસોને માટે પણ આ વાત ધ્યાનમાં રાખવાની છે. તેવા માણસોએ પણ એવી ટેવ પાડવાની છે કે અંતકાળે મન પરમાત્મામાં જોડાયલું રહે. આજે પણ કેટલાક યોગીઓ શરીરનો ત્યાગ કરતી વખતે પોતાની યોગશક્તિનો ઉપયોગ કરે છે, ને પરમાત્મા સાથે એક થઈ જાય છે. યોગશક્તિના એવા બે પ્રકારોનું ભગવાન અહીં વર્ણન કરે છે. તેમાંનો પહેલો પ્રકાર પ્રસિદ્ધ જ છે. એ પ્રકાર પ્રમાણે શરીર છોડનારા યોગી પુરૂષો અંતકાળે પદ્માસન જેવું કોઈ આસન વાળીને બેસે છે ને બન્ને ભ્રમર વચ્ચે પ્રાણને સ્થિર કરી, સૃષ્ટિના સ્વામી પરમાત્મામાં મન પરોવી દે છે. ને પછી શરીરનો કાંચળીની પેઠે ત્યાગ કરે છે. શરીરનો ત્યાગ કરવાની આ કળા સાધારણ પુરૂષો કે સાધકોને સિદ્ધ નથી હોતી. સાધારણ માણસો તો શરીરમાં બંધાયેલા હોય છે. જેમ શરીરથી કપડાંને અલગ અનુભવાય છે તેમ આત્માથી શરીરને અલગ અનુભવવાનું તેમને માટે મુશ્કેલ હોય છે. એવા માણસો યોગની પદ્ધતિ પ્રમાણે શરીર છોડી શકતા નથી. તે પદ્ધતિ પ્રમાણે શરીર છોડવા માટે પુષ્કળ સાધનાની જરૂર પડે છે. એવા અભ્યાસ માટે મહાન મનોબળની જરૂર પડે છે. સંયમ ને નિયમ પણ પાળવા પડે છે. સાધારણ માણસો તેમાં પાછા પડે છે. કોઈ વીરલા પુરૂષો જ તે માર્ગે પ્રયાણ કરે છે. તેવા માણસોને પોતાના પ્રયાણકાળની પહેલેથી જ ખબર પડી જાય છે. તે પ્રમાણે બીજાને સૂચના આપીને તે શરીર છોડી દે છે. દેવપ્રયાગ પાસે થોડાં વરસો પહેલાં એક બંગાલી મહાત્માએ તે પ્રમાણે શરીર છોડી દીધું હતું. ભારતમાં એવા મહાન સંતો ઘણા થઈ ગયા છે.


શરીર છોડવાની એવી જ એક બીજી વિધિનો ભગવાન ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે યોગીપુરૂષ મન, બુદ્ધિ ને શરીરનો કાબૂ કરે છે, મસ્તકમાં પ્રાણને સ્થિર કરે છે ને ॐકારનો ઉચ્ચાર તથા પ્રભુનું સ્મરણ કરતાં શરીર છોડી દે છે. તેવો યોગી પણ પરમાત્મામાં એક થઈ જાય છે. પણ મેં આગળ કહ્યું તેમ સતત સાધના વિના આ રીતે પણ શરીર છોડવાનું કામ સહેલું નથી.


ને પૂર્ણપુરૂષને શરીર છોડતી વખતે એવી વિધિની જરૂર છે જ એમ મને નથી લાગતું. હા, જેમને તેવી વિધિનો આશ્રય લેવો હોય તે લઈ શકે છે, પણ બધા જ પૂર્ણ પુરૂષોએ તેવી વિધિ કરવી જ જોઈએ એવો આગ્રહ નકામો છે. પૂર્ણ પુરૂષ તો જીવતાં જ પ્રભુને પામી ચૂક્યો ને પ્રભુમય બની ચૂક્યો છે. શરીરમાં રહીને પણ તે પ્રભુ સાથેની એકતાનો અનુભવ કરી ચૂક્યો છે. તેને પ્રભુમય થવા માટે અંતકાળે કોઈ વિશેષ વિધિ કરવાની જરૂર નથી. કોઈને તેવી વિધિની ઈચ્છા હોય તો તે ભલે કરે; બાકી તેની જરૂર છે જ એમ માનવાનું કોઈ કારણ નથી. જેણે જીવતાં જ પ્રભુનું દર્શન કર્યું છે. ને પરમગતિ મેળવી લીધી છે, તે પુરૂષ ઊભા ઊભા, ચાલતા ચાલતા ને સૂતા રહીને શરીર છોડે તો પણ શું ? તેવી રીતે શરીર છૂટવાથી પણ તેની ગતિમાં કોઈ જ ફેર પડવાનો નથી. પૂર્ણ કે પ્રભુને પામેલો પુરૂષ ઉઘાડી આંખે ને પ્રાણને ભ્રમરની વચ્ચે કે મસ્તકમાં રોક્યા વિના જે દશામાં હોય તે સહજ દશામાં જ શરીર છોડે તો પણ શું ? કાશી, કેદાર કે પ્રયાગ જેવા તીર્થસ્થાનમાં શરીર છોડવાને બદલે કોઈ સાધારણ સ્થાનમાં શરીર છોડે તો પણ શું ? તેને હવે કયા વિશેષ પુણ્યની ને કયી વિશેષ ગતિની ઈચ્છા છે ? માનો તો બધાં સ્થળો કાશી, કેદાર ને પ્રયાગ જેવાં પવિત્ર છે, કેમ કે બધે પ્રભુનો વાસ છે. સંસારના પ્રત્યેક પરમાણુમાં તેને પ્રભુના પ્રકાશનું દર્શન થાય છે. ઉચ્ચ ને નીચના ભેદ તેના દિલમાંથી દૂર થયા છે. તે પ્રમાણે બધી જ ક્રિયાઓ તેને માટે પ્રભુમય ને તેથી અલૌકિક થઈ ગઈ છે. કોઈ પણ કામ કરતાં તેનું અંતર પ્રભુ સાથે જ જોડાયેલું રહે છે. તેને વળી સાધનાની, કોઈ વિશેષ ક્રિયાની પણ ક્યાં જરૂર છે ? કોઈ કહેશે કે જરૂર ના હોવા છતાં ટેવ કે પરિપાટીને વશ થઈને યોગીપુરૂષો સાધનાની વિશેષ ક્રિયા કરતાં કરતાં શરીર છોડે છે. તેમની વાત આપણે જરૂર ધ્યાનમાં લઈશું. પણ તેમને વધારામાં કહીશું કે બધાએ તેવી ક્રિયા કરવાની જરૂર છે જ એમ માનવું ભૂલભરેલું છે. આ બાબત માટે ભગવાન બુદ્ધનો પ્રસંગ ખૂબ વિચારવા જેવો છે.


બુદ્ધ ભગવાને શરીર છોડતી વખતે તેમના શિષ્ય આનંદને જરૂરી સલાહ આપી, ને પછી પોતે સૂતાં સૂતાં જ શરીરનો ત્યાગ કર્યો. બુદ્ધ ભગવાને કેટલીય વાતોની જેમ આ વાત પર પણ એ રીતે નવો પ્રકાશ ફેંક્યો છે. ભગવાન ઈશુનો પ્રસંગ પણ વિચારવા જેવો છે. તેમણે વધસ્થંભ પર શરીરે ખીલાં ઠોકાતા હતા ત્યારે શરીરનો ત્યાગ કર્યો. તેમને માટે વધસ્થંભ ઉત્તમ આસન થઈ પડ્યું. એટલે પૂર્ણ પુરૂષોને કોઈ બહારની વિધિ કરવાની જરૂર નથી. તે ગમે તે રીતે શરીર છોડી શકે છે. હા, યોગમાર્ગના સાધકોએ ગીતામાતાએ કહેલી વિધિ ખાસ ધ્યાનમાં લેવાની છે. કેમ કે મુખ્યત્વે તે તેમને માટે છે. તે પ્રમાણે શરીર છોડવાથી તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ શકશે, ને અંતકાળે પણ પરમગતિ મળી રહેશે. ભક્તિમાર્ગના સાધકો અંતકાળે પ્રભુના નામ ને રૂપમાં મન જોડવાથી જે દશામાં હશે તે દશામાં રહીને પણ પ્રભુપ્રાપ્તિ કરી શકશે.


- શ્રી યોગેશ્વરજી




ॐકારથી પરમગતિ મળે છે


ઓમ્ કારનો ઉચ્ચાર કરતાં જે શરીર છોડે છે તે પરમ ગતિ મેળવે છે, અથવા તો પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. ગીતામાતાનો એ સંદેશ છે. શરીર છોડ્યા પછી પરમગતિ કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ગીતામાતાએ કેટલો સહેલો ને સીધો ઉપાય બતાવ્યો છે ! મા જેમ બાળકની સંભાળ રાખે છે, ને તેને માટે જુદી જુદી વાનગીઓ બનાવે છે, તેમ ગીતામાતા પોતાના બાળકોની રૂચિ જોઈને તેમના પોષણ માટે જુદી જુદી વાનગીઓ પીરસે છે; જીવનના કલ્યાણનાં નવાં નવાં સાધન બતાવે છે. સાધનાની એક જ પવિત્ર નદી પર ગીતામાતાએ સાધકોની સગવડ સારું જુદા જુદા આરા કે ઘાટ બાંધી દીધા છે. તેમાંના કોઈયે ઘાટ પર પહોંચીને સાધક સાધનાનો આનંદ મેળવી શકે છે, ને પ્રભુની કૃપાના પાણીમાં સ્નાન તથા આચમન કરી શકે છે. અમૃતના ભાગ પાડીને તેને જુદા જુદા પ્યાલામાં ભરવામાં આવે; તેમાંથી કોઈયે પ્યાલાને પી લેવાથી અમૃતમય થઈ જવાય છે, તેમ જીવનના કલ્યાણનો અમૃતરસ ગીતામાતાએ જુદા જુદા પ્યાલામાં ઠાલવી દીધો છે. તે માટેનાં જુદા જુદા સાધન બતાવ્યાં છે. તેમાંથી કોઈ પણ એક કે વધારે સાધનનો આધાર લઈને જીવનનું કલ્યાણ કરી શકાય છે, ને પરમશાંતિ, મુક્તિ ને પરમાત્માને પામી શકાય છે. તેમાંય આ સાધન તો અજબ છે. શરીર છૂટે તે વખતે ઓમ્ કારનું ઉચ્ચારણ કરો એટલે પરમપદ ને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. જીવનના મંગલને માટે કેટલો સહેલો ઉપાય છે ? આટલો સહેલો ઉપાય છે છતાં તમારે તેનો આધાર ના લેવો હોય તો તમે જાણો. પછી ભગવાનનો, સંતનો કે શાસ્ત્રોનો દોષ કાઢશો નહિ. તેમણે તો તમારી જીવનયાત્રાનો સરલ માર્ગ બતાવી દીધો છે, તે પર ચાલવું કે નહિ તે તમારે પસંદ કરવાનું છે.


કોઈ કહેશે કે અમને ઓમ્ કાર પર એટલો પ્રેમ નથી. છતાં પણ અમારે તેનો આધાર લેવો જ જોઈએ ? ઓમ્ કાર વિના શું ગતિ ના થાય ? ભગવાને ઓમ્ કાર પર એટલો બધો ભાર કેમ મૂક્યો છે ? શું આ નકામો પક્ષપાત નથી ? આપણે તેમને જવાબ આપીશું કે ભાઈઓ, ગીતામાં ભગવાને જે સંગીત પીરસ્યું છે, તેની ખૂબી જ એ છે કે તે ઉદાર છે. પક્ષપાત કે સંકુચિતતાનો કડવો સૂર તેમાં એક પણ નથી. ભગવાને ઓમ્ કાર વિષે જે કહ્યું છે તે જ બીજાં નામને લાગુ પડે છે. ભગવાને કહ્યું છે કે અંતકાળે મારૂં સ્મરણ કરીને શરીર છોડી દો એટલે પરમગતિ નક્કી છે. એનો અર્થ એ થયો કે અંતકાળે ભગવાનના નામમાં મન લગાડવું જોઈએ. ને ભગવાનનું કોઈ એક જ નામ થોડું છે ? ઓમ્ કાર સિવાય પણ બીજાં કેટલાંય નામ છે. માટે તો ભગવાનને હજારો નામવાળા–सहस्त्रनाम्ने– કહીને પ્રાર્થના કરાય છે. એ બધાં જ નામ સરખી શક્તિવાળા છે. તેને અંતરમાં ઉતારો, ને અંતકાળે પણ તેને યાદ કરો. તો પ્રભુની કૃપા નક્કી છે.


અંતકાળે ભગવાનનું નામ લો તો ઉત્તમ ગતિ જરૂર મળે. ગીતામાતાએ તો સહેલામાં સહેલી વાત કહી દીધી છે. પણ તેવા ને તેથી પણ સહેલા ઉપાયના કેફમાં તમે ના પડતા. કાંઈ પણ મહેનત કર્યા વગર, અંતકાળે ભગવાનનું નામ લઈને સહેલાઈથી પ્રભુના ધામમાં પહોંચી જવાના મનસૂબા ના કરતા. જીવનની છેલ્લી ક્ષણમાં પ્રભુનામના આધારે વૈકુંઠના વિમાનને ઘેર ઉતારવાની ને તેમાં ચઢી જઈને સીધા વૈકુંઠમાં જવાની આશા ના રાખતા. ભગવાનના નામમાં ને કામમાં વાલ્મિકી ને શબરીની જેમ એકાકાર બની જજો. તેમના પ્રેમમાં બને તેટલા વધારે ને વધારે ડૂબી જજો. પ્રભુના પ્રેમરસથી તન, મન ને અંતરને સારી રીતે રંગી દેજો. પ્રભુની કૃપાના ચાતક બનજો, ને પ્રેમના મહાન યોગી બની જજો. પ્રેમના પ્રભાવથી તમારૂં રોમરોમ પલટાઈ જશે. તમારા અંતરમાં અનેરો આનંદ છવાઈ જશે, ને તમારૂં મુખ પવિત્રતા ને શાંતિથી સુશોભિત બનશે. ઈશ્વરના અનન્ય ચિંતનથી તમારો નવો અવતાર થઈ જશે.


આજની પ્રજા માટે આ સંદેશ ખૂબ જરૂરી છે. આજે પુસ્તકો લાખોની સંખ્યામાં છપાતાં જાય છે, ને વાંચનારા પણ લાખોની સંખ્યામાં વધતાં જાય છે. વિજ્ઞાનની નવી શોધો થતી જાય છે, ને બહારના સુખની ઈચ્છા માણસના દિલમાં વધતી જાય છે. નવી નવી સંસ્થાઓ ને પ્રવૃત્તિઓ શરૂ થાય છે પણ માણસ હજી ખાસ આગળ વધ્યો નથી. તે તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહ્યો છે. દુર્ગુણ, દૈન્ય, સ્વાર્થ, ભુખમરો, વાસનાઓ ને વિકારો તેને ઘેરી વળ્યાં છે. સંસારમાં આજે બધે જ અસમાનતા દેખાય છે. ગરીબ ને તવંગર ને મોટા-નાનાના ભેદભાવ વધતા જાય છે. માણસે હજી જીવનના ધ્યેયને જાણ્યું નથી, ને તેને જાણીને સિદ્ધ કરવા માટે પુરૂષાર્થ કર્યો નથી. આ દશામાં તેને શાંતિ કેવી રીતે મળી શકે ? સંસાર પણ શાંતિમય કેવી રીતે થઈ શકે ? માણસે પોતે શાંતિ મેળવવી હોય ને સંસારને શાંતિમય કરવો હોય તો પોતાની કાયાપલટ કર્યા વિના ચાલવાનું નથી. પોતાની ભૂમિકાને બદલીને પોતાનો સુધારો કર્યા વિના ચાલવાનું નથી. પોતાની દૃષ્ટિ બદલવાની છે ને બહારના સંસારમાં રસ લેવાની સાથે સાથે પોતાની અંદરના સંસારમાં રસ લેવાનો છે. તેણે સાચા માનવ થવાનું છે, ને સાચા માનવ થઈને જીવવાનું છે. એ વિના જીવવાની શાંતિ, સિદ્ધિ કે સદ્ ગતિ સંભવી શકે તેમ નથી. આ મુદ્દાની વાતને ધ્યાનમાં નહિ લે ત્યાં લગી પોતાના કે બીજાના ઉદ્ધારના બધા જ પ્રયોગો માણસને હાથે નકામાં જ જવાના, ને બધી જાતના સુધારાનું ફળ નહીં જેવું જ આવવાનું.


- શ્રી યોગેશ્વરજી



યુગની ચિંતા નકામી છે


માણસો તો પોતાના બચાવને માટે યુગની વાત પણ રજૂ કરે છે. તેવા કેટલાક માણસો મારી પાસે આવે છે, ને કહે છે કે, આ યુગ જ એવો છે. તેમાં માણસનું મન મેલું જ રહેવાનું ધર્મ, નીતિ ને પ્રભુને માણસ વધારે ભાગે ભૂલી જવાનો તેમને મારે નમ્રતાપૂર્વક કહેવું પડે છે કે વાત ઠીક છે. પણ તમે ધારો તો આ યુગમાં પણ મહાન બની શકો છો. ધર્મનીતિને ભૂલેલા માણસો તો વધારે ઓછી સંખ્યામાં સંસારમાં દરેક વખત થતાં જ રહ્યાં છે. રામ ને કૃષ્ણના વખતમાં પણ રાવણ ને કુંભકર્ણ તથા કંસ, જરાસંઘ ને શિશુપાલ જેવા માણસો શું નહોતા ?


કલિયુગના નામથી બહુ ભડકવાની જરૂર નથી. કલિયુગ ગમે તેવો ખરાબ હોય તો તેનાથી ડરી જઈને હિંમત હારી જવાથી શું વળશે ? કાયરતા છોડો, હિંમત ધારણ કરો, ને ધર્મ કે નીતિમાં મન જોડો, તો કલિયુગ તમારી પાસેથી ખસી જશે. આ ખટપટ, કંકાસ, ભેદભાવ ને કજીયાનો યુગ છે. જ્યાં જુઓ ત્યાં આ વસ્તુઓનો અડ્ડો દેખાય છે, તે વસ્તુઓને તમે દૂર કરો. ને તમારી અંદર પ્રેમ, દયા, સંપ ને સહકાર જગાવી દો, એટલે તમારા જીવનમાં સત્યયુગ પ્રકટ થશે; ને જ્યાં જશો ત્યાં સત્યયુગ તમારી સાથે સાથે આવશે. કલિયુગનો ભય પછી તમને જરા પણ નહિ રહે.


કલિયુગ વિશે એક બીજી વાત પણ જાણવા જેવી છે. શ્રીમદ્ ભાગવતમાં એક પ્રસંગ આવે છે. પરીક્ષિતને રાજગાદી આપીને પાંડવો હિમાલય જાય છે, ને ત્યાં દેહત્યાગ કરે છે. પરીક્ષિત એકવાર દિગ્વિજય કરવા નીકળે છે. રસ્તે જતાં તેને જણાય છે કે પોતાના ધર્મમય રાજ્યમાં કલિયુગે પ્રવેશ કર્યો છે. તે જાણીને તે ચિંતાતુર થાય છે, ને કલિનો નાશ કરવાની તૈયારી કરે છે. કલિ પોતાનો નાશ ના કરવાની વિનંતિ કરે છે. આખરે પરીક્ષિત રાજા તેને રાજ્યની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરે છે. કલિ ખૂબ કાલાવાલા કરે છે, ને પોતાને રહેવા દેવાની જગ્યા આપવા વિનવે છે. તેની વિનવણીથી રાજા તેને રહેવાની પાંચ જગ્યા આપે છે. તે પાંચ જગ્યા (૧) જુગાર (૨) મદ્ય (૩) સ્ત્રી (૪) કસાઈખાનું કે હિંસા ને (૫) સુવર્ણ છે. એટલે આ પાંચ વસ્તુઓથી સાવધ રહેવાની જરૂર છે. જુગાર રમવો નહિ. મદિરાપાન કે બીજી કોઈ પણ કેફી વસ્તુનું સેવન કરવું નહિ. સ્ત્રીના મોહમાં પુરૂષે ને પુરૂષના વધારે પડતા મોહમાં સ્ત્રીએ પડવું નહિ. પરપુરૂષ ને પરસ્ત્રીનો સમાગમ કરવો નહિ. હિંસા કરવી નહિ. કતલખાનાને ટેકો કે આશ્રય આપવો નહિ. ને જેમતેમ કરીને ધન મેળવવા પ્રયાસ કરવો નહિ. આ યુગમાં જો આટલું કરી શકાય તો ઘણું છે. અરે ‘પરધન પત્થર જાણીયે ને પરસ્ત્રી માત સમાન’ના નિયમનું પાલન થાય તો પણ ઘણું છે. એ નિયમનું પાલન કરવાથી માણસ કલિયુગથી બચી શકશે.


આજે તો માણસ પૈસા પાછળ આંખ મીંચીને દોટ મૂકી રહ્યો છે, ને કામવાસનાથી પ્રેરાઈને કેટલાય શરમજનક કામ કરી રહ્યો છે. હિંસાના શસ્ત્રો ને સાધનો સારા પ્રમાણમાં શોધાય છે, ને સુધરેલી રીત પ્રમાણે કોઈ જાતના વિચાર વિના સામુહિક હિંસા કરવામાં આવે છે. તેમાં વધારે ભાગે અંગત સ્વાર્થ ને તૃષ્ણા વિના બીજું કોઈ જ કારણ નથી હોતું. કતલખાનાં તો આજે બધે જ ફેલાઈ ગયાં છે. ભારત જેવા ધર્મ પ્રાણ દેશમાં પણ તે પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ખાસ પ્રયાસ થતો નથી. જુગાર ને મદ્યપાન પણ એક યા બીજા વેશમાં ચાલ્યા કરે છે. માણસે હિંમત ને આત્મબળ કેળવીને એ બધાં દૂષણોમાંથી છૂટવાનો પ્રયાસ કરવો જોઈએ, તો તેને આ જ જીવનમાં સત્યયુગનો આનંદ મળી શકે. જેટલા માણસો એવો પ્રયાસ કરે, તેટલા માણસો સત્યયુગમાં જીવી શકે ને સમસ્ત સંસારમાં પણ એ રીતે સત્યયુગ ઉતરી શકે. માટે યુગની ચિંતા નકામી છે. તમારો સુધારો કરો, ઈશ્વરનું શરણ લો. ઈશ્વરની કૃપાનો સ્વાદ મેળવી લો એટલે આ યુગમાં ને આ જ જીવનમાં તમારું જીવન સફળ થઈ જશે, ને તમને ઉત્તમ પદની પ્રાપ્તિ થશે.


- શ્રી યોગેશ્વરજી




જન્મમરણથી છૂટવાનો ઉપાય


જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવું હોય, તો પ્રભુની પ્રાપ્તિ કર્યા વિના કોઈ ઉપાય નથી. દુઃખના દરિયા જેવા સંસારને તરીને સહીસલામત રીતે પાર ઉતરવું હોય તો પરમાત્માના દર્શન વિના બીજો કોઈ માર્ગ નથી. બધાં જ દુઃખ ને બંધનમાંથી મુક્ત થવા માટે પ્રભુની કૃપા મેળવ્યા વિના છુટકો નથી. જન્મ ને મરણના ચક્રનો ભય સંસારના પ્રત્યેક પ્રાણીના માથા પર ભમ્યા કરે છે. એ ભયથી મુક્ત હોય તેવું પ્રાણી ત્રિલોકમાં પણ કોઈ નથી. સ્વર્ગના દેવો પણ તેમાં સપડાયેલા છે. જન્મને મરણનું મહાચક્ર તેમને માથે પણ ફર્યા કરે છે. સ્વર્ગના ભોગો ભલે ભારે હોય; ત્યાંનું જીવન ભલે વિલાસી ને સુખમય હોય, પણ અમરતા તો ત્યાં પણ નથી. ત્યાંના નિવાસી દેવતાઓને મૃત્યુના ગુલામ બનવું પડે છે ને ફરી જનમવું પડે છે. બ્રહ્માનું આયુષ્ય પણ કેટલું મોટું છે ! શાસ્ત્રો કહે છે કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગ હજાર વાર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે. હવે વિચાર કરો કે એ હિસાબ જો સાચો હોય, તો બ્રહ્માનું એકંદર આયુષ્ય કેટલું મોટું હશે ! પણ તેવા મોટા જીવનને અંતે પણ મરણ તો નક્કી જ છે.


હિરણ્યકશિપુ કેટલો ચતુર હતો ! મરણનો ભય તેને ખૂબ ભારે હતો. તેણે ભયંકર તપ કર્યું ને ખૂબ ચતુરાઈ વાપરીને એવું વરદાન માગી લીધું કે જેથી મરવું જ ના પડે. કાયમ માટે અમર રહેવાનો ને મરણના ચક્રમાંથી છૂટવાનો તેણે જાણે કે દસ્તાવેજ કરાવી લીધો. જુઓ તો ખરા, કોઈ કુશળ વકીલની જેમ દસ્તાવેજમાં તેણે કેવી અટપટી શરતો મૂકી છે ! ભગવાન પાસે શરતો રજુ કરતાં તે કહે છે કે દિવસે ના મરું, રાતે ના મરું; ઘરમાં ના મરું, ઘરની બહાર ના મરું; માણસથી ના મરું ને પશુ કે પ્રાણીથી પણ ના મરું. કેટલા ગૌરવથી તેણે આ માંગણી રજૂ કરી છે ! પણ એ માંગણીમાં જ તેના મરણની છાયા પડેલી છે. મૃત્યુએ તેમાંથી પણ માર્ગ કર્યો, ને પ્રહ લાદની રક્ષા માટે નૃસિંહ ભગવાનની સાથે આવી હિરણ્યકશિપુનો નાશ કર્યો. મોટા મોટા મહારથી ને વીર પુરૂષોની જ્યારે આવી દશા છે, તો પછી સાધારણ પ્રાણીઓનું તો કહેવું જ શું ?


દુર્વાસા મુનિએ સુદર્શન ચક્રના ભયમાંથી છૂટવા માટે ભગવાનનું ને ભગવાનના ભક્તનું શરણ લીધું, તેમ તમે પણ ભગવાનનું ને ભગવાનના સાચા ભક્તોનું શરણ લો. સંતોની ને ભગવાનની દયા માગો. તેમની સેવા કરો. એ વિના જન્મ ને મરણના ચક્રમાંથી છૂટવાનો બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાનની કૃપા વિના આવાગમનમાંથી કોઈયે છૂટી શકે તેમ નથી. પરમાત્માની પાસે પહોંચ્યા વિના કોઈને પણ અમરપદ મળી શકે તેમ નથી, ને જન્મ ને મરણની રમતમાંથી કોઈ છૂટી શકે તેમ નથી.


કેટલાક માણસો એમ પણ કહેતા જોવામાં આવે છે કે જન્મ ને મરણના ચક્રમાં ફરે છે કોણ ? આત્મા તો અજર ને અજન્મા તથા અમર છે. જન્મ ને મરણ તો શરીરના થાય છે. પછી જન્મ ને મરણનો શો ભય છે ? તેમને આપણે કહીશું કે ભાઈઓ તમારી દશા જરા નિરોગી છે. ગીતામાતાએ બીજા અધ્યાયમાં આ જ વાત કહી છે, તે તમારા ધ્યાનમાં હશે. તે વાત યાદ રાખો ને તે પ્રમાણે ચાલો તો તો સારું. પણ વખત આવતાં માણસ એ વાત ભૂલી જાય છે. ડાહ્યા પુરૂષોનો એવો અનુભવ છે.


જુઓને, જે વિદ્વાન છે, તેમને મરણનો શોક થાય છે. આત્મા મરતો નથી એ વાત તે ભૂલી જાય છે. તેમને સમજાવો તો પણ તે સમજતા નથી. આ ચલાયમાન સંસારમાંથી કોઈ સ્નેહી કે સ્વજનનું મરણ થાય ત્યારે આત્માની અમરતાની વાત ભૂલી જઈને તે શોકમાં પડે છે, ને રોકવા છતાં પણ રોતાં રોકાતાં નથી. તેમને પોતાને સંસારમાંથી વિદાય થવાથી વાત ગમતી નથી. તેનું કારણ જીવન તરફનો તેમનો પક્ષપાત કે રાગ નહિ તો બીજું શું છે ? એક કીડીને પણ પોતાના જીવનનો આટલો રાગ છે. તે જમીન પરથી જતી હોય, ત્યારે તેને પકડવાનો પ્રયાસ કરો જોઈએ. જરાક સ્પર્શ થતાં દોડાદોડ કરી મૂકે છે. ઝડપથી નાસવા માંડે છે. જીવનનો રાગ આમ બધા જીવોમાં છે. મરણનો શોક પણ બધા જીવોને છે. આત્માની અમરતાની ફિલસૂફીને જાણી લેવા માત્રથી કે તેને ગોખવાથી તેનો રાગ ને શોક નહિ ટળે. ભૂખ્યા માણસ પાસે પકવાનની વાતો કરવાથી તેના મોંમા પાણી છૂટે, પણ તેનું પેટ ના ભરાય. પેટ ભરવા માટે તો તેણે ખાવું જ પડે. તે પ્રમાણે કેવલ વાતોથી, સમજવાથી કે બુદ્ધિથી જન્મ ને મરણમાં તટસ્થ રહેવાની શક્તિ નહિ મળે, તેવી શક્તિ માટે તો ખાવું પડશે. એટલે મહાન પુરૂષોએ બતાવેલા માર્ગે ચાલીને સાધના કરવી પડશે. મન ને અંતરને ચોખ્ખાં કરીને પરમાત્માનું શરણ લેવું પડશે ને પરમાત્માની આરાધના કરવી પડશે. છેવટે પરમાત્માનું દર્શન કરવું પડશે.


પરમાત્માની પાસે પહોંચો એટલે જીવનનો સાચો આનંદ મળી રહેશે, ને મરણ પણ મંગલમય થઈ જશે. જન્મમરણ પછી તેમને ડરાવી નહિ શકે. તે તો તમારે માટે રમત થઈ રહેશે. સંસારના રંગમંચ પર વારંવાર આવવાનું થશે તો પણ પછી તમને આનંદ જ આનંદ રહેશે.


પણ પરમાત્માની પાસે પહોંચવું કેવી રીતે ? પરમાત્માનું દર્શન થાય કેવી રીતે ? પરમાત્માને મેળવવાનો માર્ગ કયો ? આપણે જોઈએ છીએ કે જેને જે વસ્તુની લગની લાગે છે, તેને તે વસ્તુ મળી રહે છે. તે વસ્તુના વિચાર તેને રાતદિવસ આવ્યા કરે છે. તેને માટે તે કુરબાની કરે છે, મહેનત કરે છે, ને છેવટે તે વસ્તુ મેળવીને જ જંપે છે સંસારમાં વિજ્ઞાનની જે મોટી મોટી શોધો થઈ છે તે આ જ રીતે થઈ છે. શોધ કરનારા વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળામાં દિવસો સુધી પૂરાઈ રહ્યા હતા; પોતાના પ્રયાસમાં ગુલતાન થઈ ગયા હતા ને શોધ કર્યા પછી જ શાંતિનો શ્વાસ લઈને બહાર નીકળ્યા હતા. ધર્મ ને તત્વજ્ઞાનનાં રહસ્યોની શોધ કરનારા સંતો ને વિચારકો પણ દિલમાં લગન લઈને એકાંતમાં રહ્યા હતા, ને વરસો સુધી મુસીબતોની વચ્ચે પણ અડગ રહ્યા હતા. નવા નવા પ્રદેશો શોધવાની લગનવાળા માણસો કેટલા બધા પ્રદેશોને ખુંદી વળે છે ! ભૂખ ને તરસ, સુખ ને દુઃખ, તાપ ને છાયાની પરવા કર્યા વિના તે પોતાનો પ્રવાસ ચાલુ જ રાખે છે. પરમાત્માનું દર્શન કરવા માટે પણ એવી લગનીની જરૂર પડે છે. પરમાત્માની પાસે પહોંચવા માટે એવી ઉત્કટ ઈચ્છા ને તલ્લીનતાની જરૂર પડે છે. પોતાનું સર્વ કાંઈ કુરબાન કરી દેવું પડે છે. તલસવું ને પ્રાર્થવું પડે છે. એ લગની, તલસાટ, તલ્લીનતા ને ઉત્કટ ઈચ્છા તથા કુરબાનીને ભક્તિ કહેવામાં આવે છે, તેને પ્રેમ પણ કહે છે. જેના દિલમાં એ પ્રેમ જાગી જાય, એ ભક્તિનો જેના દિલમાં વાસ થઈ જાય, તેને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિનો સાચો ઉપાય એમાં જ સમાયેલો છે. એ ઉપાયની અજમાયશથી આજ સુધી અનેકને પરમાત્મા મળી ગયા છે ને અનેકનાં જીવન ઉજળાં થયાં છે. પરમાત્માને ત્યાં ભેદભાવ નથી. પક્ષાપક્ષી પણ જરાય નથી. જે ઈચ્છા કરશે, તે બધા જ તેમને પામી શકશે. જેના દિલમાં ભૂખ લાગશે, ને પ્રભુને માટે જે તરસ્યા ને તપેલા થઈ જશે, તેમને પ્રભુનું દર્શન જરૂર થઈ જશે.


- શ્રી યોગેશ્વરજી



બે જાતની ગતિ


જ્ઞાની કે યોગી પુરૂષે અમુક જ વખતે શરીર છોડવું એવો કોઈ નિયમ છે ખરો ? મહાભારતના પ્રસંગ જાણનાર જાણે છે કે ભીષ્મપિતામહે યોગબળથી છ મહિના સુધી શરીર સાચવી રાખ્યું હતું, ને પછી ઉત્તરાયણમાં શરીર છોડયું હતું. કેમ કે ઉત્તરાયણમાં શરીર છોડવાનો મહિમા શાસ્ત્રોએ બતાવેલો છે. આ વિશે ગીતામાતા પણ બે માર્ગ બતાવે છે અથવા કહો કે બે પ્રકારની ગતિનું વર્ણન કરે છે. એક તો શુકલ ગતિ ને બીજી કૃષ્ણ ગતિ. ગીતામાતા કહે છે કે જે જ્ઞાની પુરૂષો અગ્નિ હોય, જ્યોતિ હોય, દિવસ હોય, શુકલપક્ષ હોય ને ઉત્તરાયણ હોય ત્યારે શરીર છોડે છે, તે પરમાત્માની પાસે પહોંચી જાય છે ને ધુમાડો, રાત્રી, કૃષ્ણપક્ષ ને દક્ષિણાયનના છ મહિના હોય ત્યારે જે યોગી શરીર છોડે છે, તે ચંદ્રલોકને પામે છે ને ફરી જન્મે છે. આ બે ગતિ સનાતન જેવી મનાયેલી છે. તેમાંથી એક ગતિ ફરીવાર જન્મ અપાવે છે, ને બીજી ગતિ મુક્તિ આપે છે.


જુદા જુદા વિચારકોએ આ ગતિ વિશે જુદા જુદા વિચારો રજુ કર્યા છે એટલે આ ગતિ વિશે ચોક્કસ સમજવા માગતા માણસને જરા મૂંઝવણ થાય છે. જો બંને ગતિમાં કહેલા શબ્દોને સાચા માની લઈએ તો કેટલાક પ્રશ્નો ઊઠે છે. એવા કેટલાક સાધારણ માણસો કે સાધકો થઈ ગયા છે જે દિવસે, શુકલ પક્ષ ને ઉત્તરાયણમાં શરીર છોડી ગયા છે. તો શું તેટલા જ પરથી તેમની મુક્તિ થઈ ગઈ એમ માની લેવું ? કેટલાક મહાન જ્ઞાની, યોગી ને ઈશ્વરદર્શી પુરૂષો દક્ષિણાયનમાં, કૃષ્ણપક્ષમાં ને રાતે શરીર છોડી ગયા છે. તો શું તેમનો ફરી જન્મ થશે એમ સમજવું ? ભારતમાં થયેલ છેલ્લા કેટલાક મહાપુરૂષોનો વિચાર કરો તો વાત વધારે ચોક્ખી થશે. આપણે જે મહાપુરૂષોની વાત કરીએ છીએ તે એકલા ભારતના નહિ, પણ સારા સંસારના મહાન પુરૂષો છે. તેમની મહાનતા વિશે સૌ કોઈ એકમત છે. શ્રી રમણ મહર્ષિ, દયાનંદ સરસ્વતી, શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ને સિદ્ધ પુરૂષ શ્રી સાંઈબાબા. આ ચાર જ મહાપુરૂષોનો વિચાર કરો. રમણ મહર્ષિનું શરીર ૧૪મી એપ્રિલે છૂટ્યું, ને રાતના ૮–૪૦ વાગે. મહર્ષિ દયાનંદે દિવાળીની રાતે શરીર છોડી દીધું. રામકૃષ્ણદેવે ચોમાસામાં ૧૫મી ઓગસ્ટે ને રાતે એક વાગે લગભગ શરીરનો ત્યાગ કર્યો. ને સાંઈબાબાએ દશેરાને દિવસે શરીર છોડ્યું. તો શું એ બધા સમર્થ પુરૂષો ન હતા ? તે તો જીવતાં જ મુક્ત થઈ ચૂક્યા હતા, ને ઈશ્વર સાથે એકાકાર થયા હતા તો શું દક્ષિણાયનમાં રાતે શરીર છોડવાથી તેમની ઈશ્વર સાથેની એકતામાં કે મુક્તિમાં બાધ આવશે ખરો ?


મને તો તેવું નથી લાગતું. હું તો એમ માનું છું કે તેવા જ્ઞાની ને યોગી પુરૂષોને જીવતાં જ ગતિ મળેલી છે. મરણ પછીની કોઈ બીજી ગતિને માટે તેમણે અમુક પક્ષ કે સમયમાં શરીર છોડવાની જરૂર નથી. તેમનું શરીર ગમે તે કાળે પડે તેમાં કાંઈ જ હરકત નથી. સાધારણ સાધકોએ પણ શરીર છોડવાના કાળની ચિંતામાં પડવાની જરૂર નથી. તેમણે તો પોતાની સાધનાની ચિંતા કરવાની છે. આખા જીવનને પવિત્ર ને પ્રભુપરાયણ કરવાની કોશિષ કરવાની છે. આખા જીવનમાં જે પવિત્ર સંસ્કાર છે તે કોઈ અમુક પક્ષ કે કાળમાં શરીર પડે તો મરી કેવી રીતે જાય ? સંસ્કાર કાંઈ એવા છીછરા નથી.


ગીતામાતાનો આ જ ઉપદેશ છે. બે જાતની ગતિનું વર્ણન કર્યા પછી તે તરત કહે છે કે આ તો ફક્ત શ્રુતિ છે. ગીતાકારના શબ્દપ્રયોગ પર બરાબર ધ્યાન આપો. તે કહેવા માંગે છે કે આ કાંઈ શ્રુતિ એટલે વેદની વાત નથી. બે જાતની ગતિની વાતને ગીતા જો વેદવચન કે વેદની આજ્ઞા માનીને સ્વીકારવા કહેતી હોત તો તે માટે શ્રુતિ શબ્દનો પ્રયોગ કરત. પણ આ વેદનો મત છે એમ કહેવાનું ગીતામાતાનું નથી. તો પછી શું તે સ્મૃતિનો મત કે સ્મૃતિવચન છે ? શ્રુતિ પછી સ્મૃતિનું સ્થાન મહત્વનું છે. ગીતા કહે છે કે ના, બે જાતની ગતિ સ્મૃતિના આધાર પર જ નક્કી થયેલી છે એમ કહેવાનો પણ ઈરાદો નથી. શ્રુતિ કે સ્મૃતિના બલ પર આ ગતિની પ્રામાણિકતા બતાવવાનો મારા વિચાર નથી. એટલે ગીતામાતાએ સ્મૃતિ શબ્દ પણ નથી વાપર્યો. તેણે તો શ્રુતિ નામનો ત્રીજો જ પ્રયોગ કર્યો છે. એટલે તે કહેવા માગે છે કે આ એક વિચારસરણી છે. પરંપરાથી ચાલી આવેલી લોકોની માન્યતા છે.


- શ્રી યોગેશ્વરજી




સર્વકાળમાં યોગી થવાની જરૂર


શું ભગવાનનો આ વિશે કશો જ ચોક્કસ અભિપ્રાય નથી ? આપણે કહીશું કે છે, જરૂર છે. ભગવાન પોતાનો ખાસ અભિપ્રાય આપતા કહે છે કે હે અર્જુન, આ બે જાતની ગતિની વિચારસરણીને જાણનાર યોગી કે મહાપુરૂષ કોઈ વાર મોહમાં પડતો નથી, તેને ભ્રમ થતો નથી. માટે હે અર્જુન, તું બધા જ કાળમાં યોગમુક્ત થઈ જા, યોગી થઈ જા. જોયું ? ભગવાનના કથનનો ભાવાર્થ એવો છે કે સાધક કે મહાપુરૂષે બે જાતની ગતિની વાત સાંભળીને મોહમાં પડવાનું નથી. અમુક જ સમયે શરીર છોડવા માટે તેણે આગ્રહ રાખવાનો નથી. તેણે તો યોગી થઈ જવાનું છે. ઈશ્વર સાથે યોગ કરવાનો છે. પછી ગમે તે વખતે શરીર પડે તો પણ તેને હરકત નહિ આવે.


સ્ટેશન પર બેઠેલા માણસો શું કરે છે ? એન્જિન દેખાતાં તે ઊભા થઈ જાય છે, ને સામાન સંભાળવા માંડે છે. પછી ગાડી આવતાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે. જીવનના પ્રવાસનું પણ એવું જ છે. શરીરનો છેલ્લો સમય ક્યારે આવશે તેની કોને ખબર છે ? જે જ્ઞાની ને યોગી છે તેણે તો પ્રત્યેક પળે તૈયાર રહેવાનું છે. સાધારણ માણસે પણ આભાસ છોડીને પરમાત્મા સાથે યોગ સાધી લેવાનો છે. પછી શરીર ભલે ને ગમે ત્યારે પડે ! રાતે જ નહિ પણ મધરાતે પડે તો પણ શું ? કૃષ્ણપક્ષ ને ઉત્તરાયણ કે દક્ષિણાયાનમાં પડે તો પણ શું ? પરમાત્મા સાથે એકતા સાધીને જે જીવતાં જ ઉત્તમ પદની પ્રાપ્તિ કરી ચૂક્યો છે તેને શરીર છોડ્યા પછી બીજા કયા પદની પ્રાપ્તિ કરવાની છે કે તેણે વળી શરીર છોડવા માટે મુહૂર્ત જોવું પડે ને અમુક જ કાળની રાહ જોવી પડે ?


એટલે સાચા સાધકે કાળની ચિંતા કરવાની જરૂર નથી. તેણે તો વહેલામાં વહેલી તકે ઈશ્વરનું દર્શન જ કરી લેવું. તેની બધી જ ચિંતા મટી જશે. મારી સમજ પ્રમાણે સંસારમાં બે જ જાતની ગતિ છે. ઈશ્વરને પામેલા માણસોની ગતિ ને બીજી ઈશ્વરને ના પામેલાની ગતિ. જે ઈશ્વરને મેળવી ચૂક્યા છે તે તો ખરેખર મુક્ત ને કૃતાર્થ થયા છે ને જે ઈશ્વરથી દૂર છે, વાસના ને વિકારના દાસ છે, તે જન્મમરણમાં ફરવાવાળા જ છે. તે ચાહશે તો પણ તેમાંથી તેમને મુક્તિ નહિ મળી શકે. ભલે ને તે દિવસે શુકલ પક્ષમાં કે ઉત્તરાયણમાં શરીર છોડે. તેથી તે પરમાત્માની પ્રાપ્તિ નહિ કરી શકે. માણસની યોગ્યતા પરથી જ તેની ગતિ નક્કી થઈ શકે છે.


ભગવાને અર્જુનને અને આપણને યોગી થવા આદેશ આપ્યો. પણ સંસારના અટપટા વાતાવરણમાં રહીને યોગી થવાનું કામ શું સહેલું છે ? સંતપુરૂષો કહે છે કે સહેલું જરાય નથી. પણ જો માણસ ધારે તો સાવધ રહીને તેને સહેલું કરી શકે છે. લાંબા વખતના એકધારા અભ્યાસથી ગમે તેવું કઠિન કામ પણ સહેલું બની શકે છે. જુઓને, નદીના પ્રખર વેગે વહી જતા પાણીમાં આ માણસો તરવા પડ્યા છે તે કેવા સહેલાઈથી તરી રહ્યા છે ? આપણને કહેવામાં આવે તો આપણે શું એટલી સહેલાઈથી તરી શકીશું ? આપણામાં જે તરવાની કળા જાણતા હશે તે તો તરી શકશે પણ બીજાને જરૂર મુશ્કેલી પડશે. નદીમાં તરનારા આ બધા માણસો પણ શું આજે ને આજે જ તરતાં શીખી ગયા છે ? આજ સુધી તેમને કેટલીય મહેનત કરવી પડી હશે, કેટલાય પ્રયોગ કરવા પડ્યા હશે, કેટલીકવાર નાસીપાસ પણ થવું પડ્યું હશે. ત્યારે આખરે તે તરવામાં પાવરધા થયા હશે. તે પ્રમાણે આપણે પણ શીખીએ ને પ્રયોગ કરીએ તો એક દિવસ સફળ તરનારા થઈ જઈએ. સંસારના વિરાટ સાગરને તરનારા યોગી થવા માટે પણ કેટલીક સતત તાલીમ લેવાની જરૂર પડે છે. સંસારના અટપટા વાતાવરણમાં રહીને જો તાલીમ લઈએ તો પ્રભુના પ્યારા યોગી જરૂર થઈ શકીએ.


આવી તાલીમમાં સત્સંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા ગ્રંથો ને પુરૂષોનો સંગ જીવનને પલટાવી દેવામાં ને પ્રાણમય બનાવવામાં અજબ મદદ કરે છે. આપણે ત્યાં એક વાત જાણીતી છે. કહે છે કે જંગલમાં સાપ ને નોળિયાની લડાઈ થાય છે. લડતાં લડતાં નોળિયાને ઝેર ચઢે છે, ત્યારે તે જંગલમાં દોડી જાય છે, ને નોળવેલ સુંઘી લે છે. તેથી તેનું ઝેર ઉતરી જાય છે, ને સાપ સાથે લડવા તે ફરી પાછો તૈયાર થાય છે. વળી લડાઈ થાય છે ને ઝેર ચઢતાં વળી તે નોળવેલ સુંઘી લાવે છે. છેવટે સાપને મારી નાખીને તે ઝંપે છે. સંસારના અટપટા વાતાવરણમાં ને વ્યવહારમા પડેલા માણસોને માટે સત્સંગ નોળવેલની ગરજ સારે છે. સારા ગ્રંથ ને સંતના સમાગમથી તેમને ચઢેલું ઝેર ઓછું થઈ જાય છે ને તેમને સ્થિરતા ને શાંતિ તથા નવજીવનની પ્રાપ્તિ થાય છે. સારા સ્થળોનો સંગ પણ એવું જ ઉત્તમ પરિણામ લાવે છે. યોગી થવાની તાલીમ આપવામાં સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેથી તો આપણે ત્યાં સત્સંગનો મહિમા આટલા બધા પ્રબળ પ્રમાણમાં ગાવામાં આવ્યો છે. સત્સંગ તો સંજીવની બુટી છે. જડ જેવો માણસ પણ તેથી ચેતન મેળવે છે, ને શક્તિશાળી બને છે. સદ્ ગુણી માણસોને માટે તો તે પરમ હિતકારક સાબિત થાય છે. પણ જે દુર્ગુણવાળા, કુકર્મી ને પાપી છે. તેમને માટે પણ તે રસાયન થઈ જાય છે. તેમને પણ તે નવો અવતાર આપે છે.


મહાપુરૂષોનો પ્રભાવ અજબ હોય છે. માણસના હૃદયને પલટાવી નાંખવામાં તે સફળ થાય છે. આપણે પણ મહાપુરૂષોનો સંગ કરવાની જરૂર છે. તેમના સમાગમમાં આનંદ લેતા થવાની જરૂર છે. તો આપણું જીવન પણ પલટાઈ જાય. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી આપણને પણ લાભ થાય અને આપણો નવો અવતાર થાય. તેમની કૃપાથી આપણે પ્રભુના પ્યારા યોગી બનીને સંસારના સાગરને સહેલાઈથી તરી શકીએ.


- શ્રી યોગેશ્વરજી


No comments:

Post a Comment